રાજસ્થાનના જયપુરમાં આવેલું જંતરમંતર ૧૯ ખગોળીય સાધનોનું સંગ્રહસ્થાન છે. આ સાધનો ઈ.સ. ૧૭૩૪માં સવાઇ જયસિંહે બંધાવેલા વિરાટ કદના બાંધકામ છે.
આકાશનું અવલોકન, સમય, ગ્રહોની સ્થિતિ, વિગેરેનો સચોટ અભ્યાસ આ સાધનો દ્વારા થાય છે. તેમાંનું સમ્રાટ યંત્ર એક વિરાટ સૂર્ય ઘડિયાળ છે અને આજે પણ ચોકસાઇપૂર્વક સમય દર્શાવે છે. જંતરમંતરમાં ૧૯ યંત્રો છે.
(૧) ચક્રયંત્ર: વચ્ચે સ્થંભવાળી આ સૂર્ય ઘડિયાળ ગ્રીનીચ ટાઇમ સાથે મેળ કરીને દિવસમાં ચાર વખત ચોક્કસ સમય દર્શાવે છે.
(૨) દક્ષિણ ભીત્તી યંત્ર: ગ્રહો અને અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર અને ઊંચાઇ દર્શાવે છે.
(૩) દિગંશા યંત્ર: બે વર્તુળાકાર દીવાલ વચ્ચે ઊભેલો આ સ્તંભ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય દર્શાવે છે.
(૪) ધ્રુવદર્શક પટ્ટિકા: અન્ય ગ્રહોની દૃષ્ટિએ ધ્રુવના તારાનું સ્થાન દર્શાવે છે.
(૫) જયપ્રકાશ યંત્ર: બે મોટા બાઉલ આકારના બાંધકામમાં આકાશ મંડળનું પ્રતિબિંબ જોવા મળે છે.
(૬) કપાલી યંત્ર: અવકાશી પદાર્થો અને ગ્રહોની સ્થિતિ દર્શાવે છે.
(૭) ક્રાંતિવૃત્ત ચક્ર: ગ્રહોના અક્ષાંશ અને રેખાંશ માપવા ઉપયોગી છે.
(૮) લઘુ સમ્રાટ અને વિરાટ સમ્રાટ યંત્રો: આ બે સૂર્ય ઘડિયાળો છે. વિરાટ સમ્રાટ યંત્ર દિવસ દરમિયાન સૂર્યપ્રકાશથી પડતા પડછાયાના આધારે ચોકસાઇપૂર્વક સમય દર્શાવે છે.
(૯) આ ઉપરાંત રામયંત્ર, પલ્ભ યંત્ર, મિશ્ર યંત્ર, કાનાલી યંત્ર પણ અવકાશ દર્શન માટે ઉપયોગી થાય તેવા નાના યંત્રો છે.