ગુજરાતમાં આજથી હુક્કાબાર પર પ્રતિબંધનો અમલ શરૂ

*ગુજરાતમાં આજથી હુક્કાબાર પર પ્રતિબંધનો અમલ શરૂ*

*- કોગ્નિઝેબલ ગુનાના કારણે પોલીસ વગર વોરંટે કરી શકે છે ધરપકડ*

*- કાયદાના ભંગ બદલ એક વર્ષથી ઓછી નહીં, અને 3 વર્ષ સુધીની કેદ*

*અમદાવાદ, તા. 4 જુલાઈ 2017, મંગળવાર*

ગુજરાત વિધાનસભા ગૃહમાં તાજેતરમાં પસાર કરાયેલા હુક્કાબાર પરના પ્રતિબંધ અંગેના વિધેયકને આખરે દેશના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. પરિણામ સ્વરુપ હવે, રાજ્ય સરકાર આજે-3જી, જુલાઈ-2017ના સોમવારથી જ તેનો અમલ શરુ કરશે.

આ કાયદામાં એવી જોગવાઈ મુજબ સરકાર હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી શકશે એટલું જ નહીં પણ હવેથી આ ગુનો કોગ્નિઝેબલ ગણાશે. હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડતી, જપ્તી સહિતની સત્તાઓ હવેથી પોલીસ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે.

નોંધનીય બાબત એ છે કે, ગુજરાતમાં દારુબંધી અમલમાં છે. એવી જ રીતે વર્ષ-2003માં સરકારે સિગારેટ, અન્ય તમાકુ ઉત્પાદન (વિજ્ઞાપન નિષેધ,વેપાર-વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વહેંચણી) ધારો અમલમાં મૂક્યો હતો અને તેના દ્વારા હુક્કાબારની પ્રવૃતિને પણ નિયંત્રિત જરુર કરવામાં આવી હતી પરંતુ તેનાથી હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી શકાતો ન હતો એટલે રાજ્ય સરકારે વિધાનસભાના તાજેતરના સત્રમાં હુક્કાબાર પ્રતિબંધ વિધેયક પસાર કરાવ્યો હતો અને તેને મંજૂરી માટે રાજ્યપાલને મોકલી આપ્યો હતો પરંતુ રાજ્યપાલે તેને સહી (મંજૂરી) માટે દેશના રાષ્ટ્રપતિને મોકલી આપ્યો હતો. હવે, રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દીધી છે એટલે હવે આજથી જ ગુજરાતભરમાં તેનો અમલ શરુ કરી દેવાયો છે.

આજથી અમલ શરુ થશે
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યનું યુવાધન નશાખોરી, ગુનાખોરીના રવાડે ન ચઢે, તેનાથી સામાજિક,નૈતિક, આર્થિક રીતે તેમના સમગ્ર કુટુંબને સહન કરવું ન પડે તે માટે રાજ્ય સરકારે દઢ ઈચ્છાશક્તિથી આ કાયદામાં સુધારો કર્યો છે અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં આજથી જ તેનો અમલ શરુ કરાશે.

*કરાશે કડક અમલ*
જાડેજાના કહેવા મુજબ રાજ્યના કેટલાક શહેરી વિસ્તારોમાં સાર્વજનિક ખાનપાનની હોટલ-રેસ્ટોરન્સ જેવી જગ્યામાં તમાકુ મિશ્રિત હુક્કાની સગવડો ગ્રાહકોને પૂરી પાડવાનું ચલણ વધ્યું છે. જેના કારણે આવી જગ્યાઓ પર યુવાનો આકર્ષિત થાય છે અને નશાની લતમાં સપડાઈને શારીરિક, આર્થિક પાયમાલીનો શિકાર બનીને પોતાનું જીવન બરબાદ કરી દે છે. તેને ધ્યાનમાં લઈને સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. હવે તેનો કડકાઈપૂર્વક અમલ કરાશે.

*શું થાય છે નુકસાન?*
હુક્કામાં તમાકુને ગરમ કરવામાં કોલસો વપરાય છે. જેના ધુમાડામાં વધારે પ્રમાણમાં કાર્બન મોનોકસાઈડ, મેટલ અને કેન્સર પેદા કરતા કેમિકલ્સ હોય છે. હુક્કાની તમાકુના સેવનથી જડબા, ફેફસાં, ગળું, અન્નનળીનું કેન્સર થાય છે અને કીડની, લીવર, સ્વાદપિંડુને પણ નુકસાન થાય છે. આ દૂષણથી યુવાધનને ખૂબ જ નુકસાન થાય છે.

*શું છે જોગવાઈઓ?*
1. આ કાયદાથી હવે, હુક્કાબાર અંગેનો ગુનો કોગ્નિઝેબલ ગુનો બનશે
2. હવેથી હુક્કાબાર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી શકાશે
3. હુક્કાબારમાં પ્રવેશ, તાપસ, ઝડતી, જપ્તીની સત્તા પોલીસ સબ ઈન્સ્પેકટરથી લઈ કોઈપણ ઉપલા અધિકારીને સોંપવામાં આવી છે
4. કાયદાના ભંગ બદલ એક વર્ષથી ઓછી નહીં, અને 3 વર્ષ સુધીની કેદની સજા થઈ શકશે
5.કાયદાના ભંગ બદલ 20 હજારથી ઓછો નહીં અને રૂ. 50 હજાર સુધીનો દંડ વસુલ કરી શકાશે
6. કોગ્નિઝેબલ ગુનાના કારણે પોલીસ અધિકારી વોરંટ વગર જ ધરપકડ કરી શકશે
7. ગુનાની FIR દાખલ કરીને મેજીસ્ટ્રેટની પરવાનગી વગર તપાસ પણ હાથ ધરી શકાશે.

👌🏻
Great Work By Gujarat Vidhansabha


© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt